Thursday, February 2, 2012


સુવિચાર :

 [1] જ્યારે બધું સારું હોય છે, ત્યારે બધું જ સારું હોય છે, પણ સહેજ અંધકાર આવવાનો શરૂ થાય છે ને પડછાયો પણ સાથ નથી આપતો, એ ભૂલતા નહીં !

[2]
બીજના ચંદ્રનો જ વિકાસ થાય છે, પૂનમના નહીં. આ વાત ભૂલતા નહીં !

[3]
વાવાઝોડાં સામે ઝૂકી જવામાં હંમેશાં ફાયદો જ છે, એના ગયા પછી પુનઃ ટટ્ટાર થઈ શકાય છે, ટટ્ટાર જ રહીએ તો પુનઃ ઊભા થવાનો અવકાશ રહેતો નથી !

[4]
ભગવાનનો પાડ માનો કે તમે જે અનુમાનો બાંધો છો તે બધાં સાચાં નથી પડતાં !

[5]
તમારા શબ્દનો મહિમા કરવા માટે ચૂપ રહેવાનું રાખો, બોલવું જ પડે તો ખૂબ ટૂંકાણમાં જ પતાવો !

[6]
સવારે જ ખીલેલું ફૂલ સાંજે કરમાઈ જાય છે, યાદ રાખો. સતત ખીલેલું કશું જ રહેતું નથી !

[7]
બીજાના જોરે પ્રકાશિત થવામાં વાંધો તો કશો હોતો નથી, પણ ક્યારેક જ પૂર્ણ પ્રકાશિત થવાનો મોકો મળે છે, બાકી તો દિવસે દિવસે વેતરાતું જ જવાય છે, ચંદ્રને ઓળખો છો ને ?

[8]
કોઈને પ્રેમ કરવા પ્રયત્ન કરજો. નહીં કરી શકો. એ ફોરમ જેવો સહજ છે, પ્રયત્નથી થતો નથી !

[9]
પ્રેમને અને આંસુને ગાઢ સંબંધ છે. જો તમે પ્રેમમાં હો ને હજી આંખમાંથી આંસુ ન વહાવ્યાં હોય તો વિચારજો, ક્યાંય કોઈ કચાશ તો નથી રહી ગઈ ને !

[10]
આપણી ઈચ્છા મુજબ સામેની વ્યક્તિ વર્તે એ સ્વીકારવું જરા અઘરું છે, કેમ કે એનેય તમારી જેમ જ ઈચ્છા જેવું હોય ને !

[11]
ઊગતા સૂર્યને પૂજવામાં કશું ખોટું નથી પણ ડૂબતા સૂરજને નકારવામાં એ ઊગતા સૂરજનું જ અપમાન છે, કારણ એ એ જ સૂરજ છે જેને સવારે તમે જ પૂજ્યો હતો ને કાલે પાછો એ ઊગવાનો જ છે !

[12]
હથેળીમાં મૂકેલો બરફ લાંબો સમય રહેતો નથી, ઠંડક પણ નહીં. હૂંફ મૂકી હશે તો યાદગાર બનશે, પ્રયાસ કરજો !

[13]
સમયના વહેણની સાથે સાથે કેટલાક સંબંધો પણ વહી જતા હોય છે, એની ચિંતા કરવાની જરૂર નથી. વહેણ પોતાની સાથે કેટલાક નવા સંબંધો પણ લઈને આવ્યું જ હોય છે. એને સંભાળી લેવાની જરૂર છે !

[14]
સત્યની સ્પર્ધા હોતી નથી, સત્ય સ્પર્ધામાં હોતું નથી, સત્ય સ્પર્ધક નથી, એ નિતાંત છે, નિશ્ચલ છે !

[15]
પૈસા કમાવામાં કોઈ કસર નહીં કરતાં, પણ એટલું સતત યાદ રાખજો કે રોટલી ઘઉંના લોટની જ બને છે, સુવર્ણરજની નહીં !

[16]
દરેક ઉભરો શમી જ જતો હોય છે, માત્ર તમારી પાસે ધીરજ હોવી જોઈએ.

[17]
બાળકને રમાડતી વખતે બે બાબતો ભૂલશો નહીં : એક તો તમારી ઉંમર અને બીજી બાળકની ઊંમર !

[18]
પરશુરામે કર્ણને આપેલો શાપ આજે પણ દરેકને મળેલો જ છે, ખાસ કરીને રાજકારણીઓને…. કે અંતિમ સમયે કોઈ જ વિદ્યા કામમાં આવતી નથી, પૈસા પણ નહીં, મરવું જ પડે છે !

[19]
લાગણીનો સંબંધ અને સંબંધમાં લાગણી એ બન્ને અલગ અલગ છે, વિચારજો !

[20]
દરિયાની સમૃદ્ધિ અપાર છે. પામે છે કોણ ? જાનની બાજી લગાવી દેનાર મરજીવા. દરેક ક્ષેત્રમાં આવું જ હોય છે, મરજીવા જ પામી શકે છે, લગે રહો !

[21]
તમારી હાલતની ખબર એક માતાને અને બીજી પત્નીને પડી જતી જ હોય છે. પત્ની એનાં કારણ શોધે છે, મા તેનું નિવારણ !

[22]
બેસણામાં આવવાની કોઈની ઈચ્છા હોતી નથી, પણ ત્યાં જે હાજરીપત્રક રાખવામાં આવે છે, તેનો ડર એને ત્યાં આવવા મજબૂર કરે છે, વિચારજો !

[23]
તમે જેની પાછળ પડ્યા છો એ આગળ જ રહેવાનો છે, એ ખ્યાલમાં રાખજો !

[24]
દોસ્તી કારણથી પણ થતાં વાર લાગે છે, દુશ્મની કારણ વગર પણ થઈ શકે છે !

[25]
લગ્ન ન કરો કે ન થાય એટલે જીવન ખાલી ખાલી નથી થઈ જતું, દુઃખી થવાની જરૂર નથી, એને માટે બીજાં અનેક કારણો છે, વિચારોમાં ફેરફાર કરો, સુખી થશો, કરશો !

[26]
વૃદ્ધજનો માટે સૌથી મોટી ભૂખ અને સૌથી વધારે ભૂખ સાંભળનારની છે, સમય સાંપડ્યે પૂરી કરો, તેઓ સુખી થશે અને તમે સુખી બનશો !

[27]
તમારા હોવાથી કશું ચાલતું નથી એટલે તમે નહીં હો તો કશું જ અટકી જવાનું નથી, એ યાદ રાખીને જીવતાં શીખો, તમારે ભાર રાખીને ફરવાની જરૂર નથી, સમજો બને એટલા જલ્દીથી !

[28]
કોઈની હથેળીમાં રૂપિયા મૂકવા એ ઝૂંટવી લેવા કરતાં પણ વધારે હિંમતનું કામ છે.

[29]
તમારી મહત્તાનો સ્વીકાર ઘરના સભ્યો કરે, એવી અપેક્ષા રાખશો તો દુઃખી રહેવા માટે બીજા કોઈ કારણની તમારે ક્યારેય જરૂર નહીં પડે !

[30]
ખરીદી શકાય એવું સુખ ક્યાંય મળતું નથી, ને વેચી શકાય એવું દુઃખ હોતું નથી !

[31]. ખુબસુરતી હંમેશા જોનારના મનમાં અને એની નજરમાં હોય છે. નહિતર ભુલ કાઢનારને તો તાજમહલ માં પણ ભુલ દેખાય છે.
[32]. આંસુ સુકાયા પછી જે મળવા આવે...એ સંબંધ છે...,
      ને...આંસુ પેહેલા મળવા આવે ....,એ પ્રેમ છે......
      દરેક ઘર નું સરનામું તો હોય ...પણ.......
      ગમતા સરનામે ઘર બની જાય.....એ જીવન છે......

1 comment:

Gujju said...

તમારી ભુલો માટે કોઇને દોષ આપવાને બદલે તેના કારણો શોધો - Bill Gates